ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર જાહેર થયા છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના લોકપ્રિય અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદીને "પદ્મશ્રી" પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઇ છે.
આ પહેલા હાસ્ય કલાકાર તરીકે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર એક માત્ર ગુજરાતી શ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડ છે. શ્રી શાહબુદ્દીનભાઇ જગદીશ ત્રિવેદીના કલાગુરુ છે. એ રીતે, ગુરુ અને શિષ્ય બંને પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થયા હોય એવો આ પ્રથમ પ્રસંગ છે.
હાલમાં ૫૭ વર્ષની આયુ ધરાવતા શ્રી જગદીશભાઈએ સાત વર્ષની વયે પોતાનું પ્રથમ સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. હાસ્ય કલાકાર તરીકે એમનો પ્રથમ સ્ટેજ શો ૧૯૯૩માં થયો હતો. એ રીતે છેલ્લા ચાલીસ વર્ષમાં એમણે લગભગ ૩૫૦૦ થી વધારે સ્ટેજ કાર્યક્રમ કર્યા છે.
એમના જીવનની સૌથી વધુ ઉલ્લેખનીય ઘટના એ છે કે પોતાના પચાસમાં જન્મ દિવસે એમણે એક પ્રશંસનીય જાહેરાત કરી. એ મુજબ પોતાના સ્ટેજ કાર્યક્રમોમાંથી જે આવક થશે, એ તમામ રકમ સમાજ સેવા માટે અર્પણ કરવાનો તેમણે નિર્ણય લીધો. એ રીતે છેલ્લા સાત વર્ષમાં તેમણે લગભગ ૬૦૦ સ્ટેજ શો કર્યા. એમાંથી પ્રાપ્ત થયેલી નવ કરોડ અને સાડા છ લાખ રૂપિયા જેટલી તમામ આવક એમણે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર અને ગૌ સેવા માટે અર્પણ કરી. એમના આ ઉમદા કાર્યથી એમણે સમાજ સામે અનુકરણીય ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
એમની અનુપમ હાસ્ય કલા અને અનન્ય સેવા ભાવનાને બિરદાવતા ગુજરાત સરકારે ૨૦૨૩ માં જાહેરાત કરીને એમને "ગુજરાત ગૌરવ" પુરસ્કારથી નવાજ્યા હતા. ભારત સરકારે પણ જગદીશભાઈની કલા અને સેવા-ભાવની યથાયોગ્ય રીતે નોંધ લઇને એમને "પદ્મશ્રી" પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો છે.
પોતાની કલા દ્વારા મળનારી ૧૦૦% આવક સમાજને સમર્પિત કરવાની તેમની વાત સમાજને નવી દિશા ચીંધનાર પગલું છે. એમની કથની અને કરનીએ સાબિત કરી આપ્યું છે કે માનવીય મૂલ્યોને વરેલા શ્રી જગદીશ ત્રિવેદી એક મુઠી ઊંચેરા માનવી છે. આજના અર્થ પરાયણ યુગમાં કશાએ સ્વાર્થ કે અપેક્ષા વગર આવી ત્યાગ ભાવના, ભાગ્યે જ જોવા મળે એવી વિરલ ઘટના ગણાય.
પોતાને મળેલ આ બહુમાન માટેનું શ્રેય, શ્રી જગદીશભાઈએ સહુ વડિલો, મિત્રો અને સુહ્રદોને આપતા જણાવ્યું છે કે સહુના શુભાશિષ અને શુભેચ્છાઓને કારણે તેઓ આ મુકામ હાંસલ કરી શક્યા છે.
આપણે સહુ શ્રી જગદીશ ત્રિવેદીને વંદન સાથે અભિનંદન પાઠવીએ.
No comments:
Post a Comment