Saturday, 27 January 2024

જગદીશ , જગદીશ ચિંઘ્યા માર્ગે

 હાસ્ય-દાતા ડૉ. જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એક મુકામ; ઉર્ધ્વગતી તરફનું ગતિતસ્વમ, ગતિતસ્વમ


- ડૉ. અર્જુન દવે


જગદીશભાઈને પદ્મશ્રી જાહેર થયો અને એક વિચાર આવ્યો કે આ માણસએ કેટ કેટલા લોકોને મદદરૂપ થવાનું પુણ્ય તો કમાઈ લીધું, પ્રસિદ્ધિ અને નિજાનંદ પણ ખૂબ કમાયા, હવે પછીનું સ્ટેજ શુ? તેનો જવાબ મને ભૂતકાળમાંથી મળ્યો. 


પોતાના ખર્ચે, ૩૦૦૦ માણસો (ગુજરાતના લગભગ તમામ નામાંકિત કલાકારો, કવિઓ, લેખકો અને વૈશ્વિક સંતો)ને ભેગા કરી, પોતાની જાતને ઉઘાડી કરી કોઈ સમાજ સેવા કરવા નીકળે તો કેવા લાગે?  જવાબ છે "જગદીશ ત્રિવેદી જેવા."


એક કલાકાર - લેખક પોતાની તમામ આવક છેલ્લા 7 વર્ષથી દાન કરે છે જે રકમ અત્યાર સુધીમાં રૂ. 9 કરોડએ પહોંચી છે તે જગજાહેર છે પણ સાથે જ જગદીશભાઈ એક કુશળ આયોજક અને માણસ પારખું પણ ખરા. એ સંબંધોના માણસ છે તે સર્વવિદિત છે. એમના નામે કેટલાય કામ થઈ જાય એ મેં જાત અનુભવે નોંધ્યું છે. "વંદુ એ જગદીશને"થી જગદીશ ચીંધ્યા માર્ગેની આ સફરનો હું પ્રત્યક્ષ અને પરોક્ષ સાક્ષી છુ. કોઈપણ ઇમારતનું કામ પાયા વગર અધુરૂ કહેવાય એટલે કે પેહલા દિવસથી 'વંદુ' નથી થયું.


જગદીશભાઈ સાથે પ્રથમ ટેલિફોનિક વાત 2017-18 માં થઈ. ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી અહમ, ઈગો, તોછડાઇ, ઉદ્ધતાઈથી ચિક્કાર માણસ, ભાવતાલ કરાવવામાં ઉસ્તાદ માણસ. પછી 2-3 કામ કર્યા એટલે ધીમે ધીમે એમના વર્તનમાં રહેલ પ્રેમ અને લાગણી અનુભવાઈ. મદદરૂપ થવાની ભાવના અને સામેવાળાને નાનો ન ગણવાની સદવૃત્તિ સામે આવી. કામથી ખુશ થાય તો ભરી ભરીને વખાણ કરે અને પ્રોત્સાહિત પણ કરે અને જ્યાં જરૂર પડે ત્યાં ટકોર કરે.

એક દિવસ તેઓ એક વિશાળ જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જતા હતા અને મારે મળવાનું થયું. મને પણ સાથે જોડ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે (મને ખાલી ખાલી સાથે લીધો છે એમ મારા મનમાં હતું), સંસ્થાના પદાધિકારીઓ સાથેની ઔપચારિક બેઠકમાં અને સ્ટેજ પરથી મારો પરિચય કરાવ્યો અને મારા કામને બિરદાવ્યું. 2 વર્ષનો વ્યવસાયિક સંબધ અંગત સંબંધમાં પરિણમ્યો એને 5 વર્ષ થયાં. ઘેર જમાડે અને અંગત વિષયોમાં રસ લઈ મદદરૂપ થાય. આ માત્ર મારા પુરતો મર્યાદિત અનુભવ નથી. એમના સંપર્કમાં રહેલ તમામ લોકો, એ પછી ખૂબ મોટા ગજાના કલાકાર હોય કે નાનો માણસ હોય બધા માટેના  સંતુલિત વ્યવહારમાં આ દ્રષ્ટિગોચર થાય છે.


એમણે 11 કરોડ રૂપિયા, 11 વર્ષમાં દાન કરવાની પ્રતિજ્ઞા - ઘોષણા જે કાર્યક્રમમાં કરી તેમાં વેદાંત નોલેજ સિસ્ટમ્સના રાજ સોની, ટીમ સાથે હાજર હતા, ત્યારે જ એમનું જીવન-કવન, બાયોગ્રાફી સ્વરૂપે પ્રગટ કરવાનો નિશ્ચય કર્યો. જગદીશભાઈનો આ બાબતે સંપર્ક કરતા થોડી આનાકાની બાદ એમણે પુસ્તક પ્રકાશિત કરવા મંજુરી આપી.

એમના મુખે એમના જીવનની સારી-નરસી બાબતો, અનુભવો અને સમગ્ર યાત્રા વિશે સાંભળતા ગયા, અનુભવો રેકોર્ડ કરતા ગયા, નિતાબહેન માતાના વાત્સલ્ય ભાવે જમાડતા ગયા, અને એક-બે-ત્રણ ડ્રાફ્ટ પછી અમારા જગદીશ-મંથનની ફ્લશ્રુતિ સ્વરૂપે પ્રગટ્યું, 'વંદુ એ જગદીશ ને'. મહેશભાઈ પઢારીયા દ્વારા આલેખિત, વેદાંત નોલેજ સીસ્ટમ્સના, વેદાંત પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પુસ્તકની 1000 નકલ વિમોચન પ્રસંગ સમાપન સુધીમાં વહેંચાઈ ગઈ.


પુસ્તક પર કામ ચાલતું હતું એ દરમ્યાન જગદીશભાઈની ભલામણ કે ચિંતા હતી કે, માત્ર સારું નહીં જે છે તે સાચું પાસું પણ ઉજાગર કરજો અને ચીવટ પૂર્વક સમયસર કામ પતાવજો. તેમની મદદરૂપ થવાની તૈયારી અને ચોકસાઈની અપેક્ષાએ અમારી યાત્રામાં ઘણું ભાથું ભરી આપ્યું.


3000 થી વધુ કાર્યક્રમ અને 70 થી વધુ પુસ્તકો આપનાર સર્જક, દાનવીર કર્ણ જેવા વિશાળ હૃદયથી, બુદ્ધિપૂર્વક ચકાસી યોગ્ય જગ્યાએ દાન આપે અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને હસાવે તથા ગંભીરતા પૂર્વક ચિંતન કરતા કરી મૂકે એ માણસ પ્રેરણા લેવા જેવો જ હોય એમાં શંકા અસ્થાને છે. જગદીશભાઈએ જે પથ પર ચાલીને એક ઉદાહરણ પ્રતિપાદિત કર્યું છે; તે ચીંધેલ (કરી બતાવેલ) માર્ગ પર ચાલનાર પણ ગર્વ, નિજાનંદ અને શાંતિ-સમૃધ્ધિ મેળવશે એ નક્કી.

કામ લેવાની, કામ કરવાની અને દાન આપવાની એમની મૌલિક શૈલી, લોકો માટે પ્રેરણા પુરી પાડનારી છે. માત્ર સ્વ-અર્થે કે સ્વાર્થે કમાનાર- ખાનાર માટે જગો ઝેરોઝ વાળો અને "ત્યેન ત્યકતેન ભૂંજીથા" કરનાર જગદીશભાઈના કિરદારમાં મોટું અંતર છે. એ અંતર કાપતા એમને 20-25 વર્ષ લાગ્યા જેમાં વાત્સલ્યમૂર્તિ નીતાબેનનો અગ્રિમ ફાળો છે, સાથે જ પૂજ્ય સચ્ચિદાનંદજી, પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય ભાઈશ્રી અને અન્ય મહાનુભાવોનું કવન પણ પ્રેરણારૂપ બન્યું છે.


આ યાત્રામાં એમને કેટલાય સન્માનો મળ્યા અને તાજેતરમાં ભારત સરકારે એમને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કર્યા. સમાજ બધું જ જુવે છે, સમજે છે અને રેસીપ્રોક્રેટ પણ કરે છે તે વાત અહીંયા સિદ્ધ થાય છે.

હવે પછીના જીવનમાં જગદીશભાઈનો પડાવ શુ હશે? પ્રેરણા પુરી પાડવાનો છે. ક્રોધી સ્વભાવ પર જબરું સંયમ, જબરી વિનોદવૃત્તિ, ગાંભીર્યપૂર્ણ ચિંતન, ફિલોસોફીકલ કન્ટેન્ટ, વિચારોની ધારદાર સ્પષ્ટતા, તીવ્ર નિર્ણયશક્તિ, સાહસ અને આવા કેટલાય ગુણો ધરાવી આપણી વચ્ચે સહજ થઈ ભળી શકનાર અદના આદમી પાસે થી કેટ-કેટલું, કેટલીએ રીતે થઈ શકે તેની પ્રેરણા, અન્યને પોતીકા ગણી મદદરૂપ થવાની પ્રેરણા, ખુદની કમાણી ખુદમાં સમાણીને બદલે ખુદની કમાણી અન્યની ખુશીઓમાં સમાણીની પ્રેરણા, સતત વ્યસ્ત રહી પોતાની કળા, સાધના અને સદભાવ દ્વારા સર્જન કરવાની પ્રેરણા, વ્યક્તિગત શિસ્ત અને ગોલ સેટ કરી સુપેરે પરિપૂર્ણ કરવાની પ્રેરણા, આયોજન કરી તેને સાંગોપાંગ પાર પાડવાની પ્રેરણા, ભટક્યા પછી પણ સુપંથે પાછા ફરવાની પ્રેરણા, કોઈપણ ક્ષેત્રમાં હોવા છતાં દેશ-સંસ્કૃતિ-દેશબાંધવો પ્રત્યેક કઈક કરી છૂટવાની પ્રેરણા, મોટા થયા પછી પણ સદ્-વર્તનની પ્રેરણા ... યાદી લાંબી થશે પણ ટૂંકમાં, એમનું જીવન- કવન દેશના યુવાનોને માટે ચોક્કસથી પ્રેરણાસ્ત્રોત છે અને રહેશે. જગદીશ ચીંધ્યા માર્ગે અડચણો આવશે જ પણ એની મજા પણ માણવા જેવી જ હશે.  


આપ સૌને ‘વંદુ એ જગદીશ’ને થી ‘જગદીશ ચીંધ્યા માર્ગે’ની યાત્રા માટે સુકામનાઓ.


- ડૉ. અર્જુન દવે

 

લેખક પરિચય:

ડૉ. અર્જુન દવે જાણીતા શિક્ષણવીદ, વક્તા અને લેખક છે. 9 પુસ્તકો અને 100 આર્ટિકલ્સ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખી, પ્રકાશિત કરાવ્યા છે. ગોએન્કા યુનિવર્સિટી, નોઈડા અને આત્મીય યુનિવર્સિટી, રાજકોટના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય છે અને ભારત તિબેટ સંઘ (યુવા આયામ)ના ગુજરાત પ્રાંતના પ્રમુખ છે. નવી પેઢીના ઉત્તમ પ્રકાશક છે અને શિક્ષણ ક્ષેત્રે 12 વર્ષથી કાર્યાન્વિત છે.


No comments:

Post a Comment

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*

*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ* ——————————————————...